મહાત્મા ગાંધી લેખમાળા

શાશ્વત સંદેશ માંથી
Yogesh (ચર્ચા | યોગદાન) દ્વારા ૧૧:૧૫, ૮ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મહાત્મા ગાંધી લેખમાળા
યોગેશ કવીશ્વર


ઉત્તેજિત બનેલા લોકો ગાંધી સામે દેશ મહીં,
ફેલાવી ધિક્કાર રહેલા, વિચારતા લવલેશ નહીં.
વેરભાવનું વિષ રેડીને અનેકના અંતર ભરતા,
આલોચના અનેક પ્રકારે સાચા સંત તણી કરતા.

કટ્ટર નાના મનના લોકે ધર્મભ્રષ્ટ જેવા જાણ્યા,
મુસ્લિમોના સુહૃદશ્રેષ્ઠ શા સ્વદેશના દુશ્મન માન્યા.
એક વર્ગ કટ્ટર ભારતમાં થઈ રહ્યો એવો તૈયાર,
કોમવાદના નામે કરતો પ્રચાર દિનને રાત અસાર.

હિંદુ જાતિની કરે કુસેવા અમંગલ વળી દેશ તણું,
ગાંધીનું એવા કુપ્રચારે એ કરતો અપમાન ઘણું.
યોજના ઘડી વેર ભાવથી એકત્ર થઈ એ લોકે,
ખતમ કરી દેવા ગાંધીને પ્રાણાર્પણ કરતાં કોકે.
-શ્રીયોગેશ્વરજી
(c)સ્વર્ગારોહણ
(ગાંધી ગૌરવ મહાકાવ્યમાંથી સાભાર)

અત્યારે મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જયંતિનો સમય પૂર્ણ થયો છે પણ શ્રી યોગેશ્વરજીએ ઉપરોક્ત કાવ્ય ગાંધીજીની શતાબ્દિવંદના પ્રસંગે લખ્યું હતું, એટલે તેને પ૦થી વધું વર્ષો થઈ ગયાં છે. એ ગાંધી ગૌરવ મહાકાવ્યમાંથી ઉપરોક્ત કાવ્યપંક્તિઓ આજે પણ એટલી જ પ્રાસંગિક છે. આજકાલ ચોક્કસ સમૂહ દ્વારા ગાંધીજીને ભાંડવાની પ્રવૃત્તિ પૂરજાેશમાં શરુ થઈ છે. એવું ઠસાવવામાં આવી રહ્યું છે કે ગાંધીજીએ માત્ર ભૂલ જ કરી હતી, અનેક જૂઠાણાઓ પણ ફેલાવવામાં આવી રહ્યાં છે. પ૦ વર્ષ પહેલા જે પ્રવૃત્તિ આંતરીક રીતે ચાલતી હતી તે હવે ખૂલ્લેઆમ શરુ થઈ છે. અનેક દેશપ્રેમીઓના મનમાં વિષ ઘોળીને તેમને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.

જ્યારે અસત્યના પ્રચંડ વાયરાઓ વાતા હોય, અસત્યનો અંધકાર સમગ્ર વાતાવરણને ઘેરી વળ્યો હોય, રસ્તો સૂઝતો ન હોય ત્યારે એ અંધકારની સામે રેલીઓ કાઢવાની, તેનો વિરોધ કરવાની આવશ્યક્તા નથી પણ નાનકડો એક સત્યરુપી દિપક પ્રગટાવવો જાેઈએ. એથી એ અંધકારનું ભેદન થઈ જશે. અંધકાર ક્યારેય પ્રકાશની સામે ટકી શકતો નથી. ગમે તેટલા જૂઠાણાઓ ફેલાવવામાં આવે પણ એ ક્યારેય સત્યનું સ્થાન લઈ શકતાં નથી, એ સત્ય હોવાનો ભ્રમ અવશ્ય પેદા કરી શકે છે પણ સત્યની એક નાનકડી ચિનગારી જ તેનું ભેદન કરવા માટે પર્યાપ્ત છે.

રામ અને કૃષ્ણ જેવા મહાન અવતારો આ માનવજાતિના અને સમષ્ટિના કલ્યાણ માટે થયાં છે. તેવી વિભૂતિઓને વધાવવાનું તો ઠીક પણ આપણે તેમના રસ્તામાં કંટકો જ વેર્યાં છે. કંસો, રાવણ, શિશુપાલ, એ એક ધોબી આજે પણ આ જગમાંથી ટળ્યાં નથી. ભગવાન બુદ્ધે સૌને સદાચારનું સ્નાન કરાવવા માટે આકરી તપસ્યા કરી અને શાંતિનો સંદેશ આપ્યો પણ આપણે તેને કેટલો ઝીલ્યો? ભગવાન ઈશુને આપણે વધસ્તંભ પર ચડાવ્યાં. ભગવાન જ્ઞાનેશ્વરના માતાપિતાને આત્મઘાત માટે મજબૂર કર્યાં, ભગવાન શંકરાચાર્યને માતાનો અગ્નિદાહ પણ ન કરવા દીધો. ગુરુનાનકને યુદ્ધો લડવા પડ્યાં અને આ જ રીતે આપણે ગાંધીજીને પણ ગોળી મારી દીધી! એટલેથી જ ન અટકતા હજુ પણ એનો વારંવાર વધ કરી જ રહ્યાં છીએ. ત્યારે આપણાં ઉદ્ધાર માટે હવે કોણ આવશે?

હજારો જૂઠાણાઓના વરસાદ વચ્ચે નાનકડું સત્ય કદાચ ઝડપથી કોઈને ન પણ સમજાય પણ આજથી આ લેખમાળા દ્વારા આપણે સત્યરુપી દિપક પ્રગટાવી રહ્યાં છીએ. હવે જાેવાનું એ છે કે અસત્યના વાવાઝોડામાં સત્યની આ નાનકડી જ્યોત ઓલવાઈ જશે કે એ પોતાની તાકાતથી અંધકારનું ભેદન કરવા માટે સમર્થ સાબિત થશે? સત્ય વિષે જે કહેવાય છે કે તે સનાતન છે અને અસત્ય ક્યારેય સત્યનું સ્થાન લઈ શકતું નથી ત્યારે આ જ્યોત પ્રગટાવીને એક નાનકડો પ્રયોગ કરી રહ્યો છું. હવેથી નિયમિત રીતે આ જ વિષય પર લેખો પ્રકાશિત કરીને આપણે સત્યની જ્યોત પ્રગટાવીશું. આ કાર્યમાં આપ પણ જાેડાઈને સહયોગ આપી શકો છો, આપ તેને વાંચી સમજીને યોગ્ય લાગે તો વધુંને વધું લોકો સુધી તેને પહોચાડીને એ નાનકડી જ્યોતને બુઝતી અટકાવી શકો છો અને જાે એમ થશે તો એ એક દિવસ અવશ્ય મહાજ્યોત બનશે. જે સત્યનું ગાંધીજીએ પાલન કર્યું હતું તેને સત્યની કસોટી પર આજે ચડાવીને આ એક નાનકડી પ્રયોગ આરંભ્યો છે. મા ભગવતીના ચરણે આ એક નાનકડું લેખન પુષ્પ અર્પણ છે.

-યોગેશ કવીશ્વર

આ પણ જુઓ