ગાંધીજીની અહિંસા એ કાયરતા નથી

શાશ્વત સંદેશ માંથી
Yogesh (ચર્ચા | યોગદાન) દ્વારા ૧૧:૧૬, ૮ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગાંધીજીની અહિંસા એ કાયરતા નથી
યોગેશ કવીશ્વર


એક ભાઈએ મને કહ્યું કે ‘મહાત્મા ગાંધી તો નપૂંસક હતાં! એમના જેવો કાયર, ભગોડો, મર્દાનગી વગરનો બીજાે કોઈ આ દેશમાં થયો જ નથીને!’ આપણાં દેશનો કેટલોક વર્ગ એવો છે જે આવું માને છે. એમના બૉંબમારો કરવો, ગોળીઓ ઝીલવી અને મારવી, અનેક લાશો ઢાળી દેવી એમાં જ શૂરવીરતાં છે. એટલે અહિંસા તેમને કાયરતા લાગે છે.

સાચી શૂરવીરતાની જરુર તો બીજાને મારવામાં નહીં પણ સામેવાળો આપણને મારે ત્યારે સામે પણ પ્રહાર કરવાના બદલે પ્રમપૂર્વક તે સહન કરવામાં રહે છે. દરેક એવું કરી શકતાં નથી. અત્યારે કોઈને મારવાની વાત તો દૂર પણ એમના વિષે ઘસાતું બોલનારને પણ લોકો છોડતા નથી ત્યારે વિરોધીને પણ પ્રેમ કરવો એ તલવારની ધાર પર ચાલવા જેવું છે. એ માટે અતિ પ્રબળ મનશક્તિ, મક્કમતા, શૂરવીરતા, પૌરુષની આવશ્યક્તા રહે છે. આનો અનુભવ આપણે જાતે જ કરી લેવો જાેઈએ. ગાંધીજીને નપુંસક માનતા કે કહેતા પહેલા આપણે જાતે જ એમના બતાવેલા માર્ગો પર ચાલવાનો પ્રયત્ન કરીને અનુભવી લેવું જાેઈએ કે આપણે તેમાં વીર બનીને સાંગોપાંગ તેનું પાલન કરી શકીએ છીએ કે કેમ?

મહાત્મા ગાંધીજીનું સૌથી પહેલું શસ્ત્ર હતું અહિંસા. વિશ્વમાં કોઈને કલ્પના પણ નહોતી કે લોહીનું એક ટીપુ પણ વહેડાવ્યા વગર આ રીતે પણ વિરોધ થઈ શકે છે! વળી એ વિરોધ પણ માયકાંગલો નહોતો પણ એટલો પ્રબળ, મક્કમ હતો કે અંગ્રેજ સરકારને પણ ઝૂકવું પડયું. અહિંસાનું પાલન કરવું સહેલું નથી. આપણને કોઈ ગાળ આપે તો આપણે સહન કરી શકીએ છીએ? કોઈ જાહેરમાં અપમાન કરે તો સહન કરી શકીએ છીએ? કોઈ વાંક વગર માર મારે તો સહન કરી શકીએ છીએ? વિરોધીને પણ સાચા દિલથી પ્રેમ કરી શકીએ છીએ?આ પ્રશ્નો આપણે પોતાને જ પૂછી લેવા જાેઈએ અને નક્કી કરવું જાેઈએ. એકાદ દિવસ માટે પણ આવી રીતે અહિંસાનું પાલન કરી જૂઓ તો ખબર પડશે કે આવું કરવા માટે જ સાચી શક્તિની જરુર છે, સાચી મર્દાનગી કોઈ મારે ત્યારે સામે મારવામાં નહીં પણ માર ખાવાથી સામાના પ્રત્યે ઉત્પન્ન થતો ક્રોધ, દાઝને કાબૂમાં રાખવામાં અને એ વ્યક્તિને પણ પ્રેમ કરવામાં છે. આવો પ્રયોગ કરવાથી સમજાઈ જશે કે એ કેટલું દુષ્કર છે. જેનું મન ખૂબ જ મક્કમ હોય તે જ આવું કરી શકશે અને આવી અહિંસાને આજીવન અપનાવવા માટે તો ભારેમાં ભારે શૂરવીરતાની આવશ્યક્તા છે.

ગાંધીજીએ અંગ્રેજ સરકારને ઝૂંકાવવા માટે ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું હતું. તેઓ ર૧ દિવસથી માંડીને મહિના સુધીના ઉપવાસ કરતાં, એ પણ કોઈ ન જૂએ તે રીતે ગાંઠિયા ખાઈને નહીં પણ માત્ર પાણી પર જ રહીને અન્નનો એકપણ દાણો મોંમા નાખ્યા વગર દિવસો સુધી તેઓ ઉપવાસ કરતાં હતાં. પોતાનો કોઈપણ સ્વાર્થ સાધવાનો નહોતો. એકાદ દિવસ પણ આ રીતે ઉપવાસ કરી જાેવાથી ખબર પડી જશે કે એ માટે કેટલી મનની મક્કમતા અને શક્તિની આવશ્યક્તા પડે છે.

ગાંધીજીનો બીજાે આદર્શ છે સત્યનું પાલન. કોઈ પણ સંજાેગો, પરિસ્થિતીમાં સત્યના જ માર્ગે ચાલવું, સાચુ જ બોલવું એ ધાર્યા જેટલું સહેલું નથી. નજીવા સ્વાર્થ માટે પણ લોકો જૂઠું બોલી લેતા હોય છે ત્યારે ભલે ગમે તેટલું નુકસાન થાય, જાનનું જાેખમ પણ ભલે હોય તેમ છતાં હંમેશા સત્ય જ બોલવું એવું ગાંધીજીનું વ્રત હતું. આપણે જીવનમાં સત્યનું કેટલું પાલન કરી શકીએ છીએ? આ પણ પ્રયોગથી જાણી શકાય તેમ છે અને સત્યનું પાલન કરવાનો પ્રયોગ કરીને તે માટે કેટલી શૂરવીરતાની જરુર રહે છે તે આપણે જાતે જ અનુભવી શકીએ છીએ.

મહાત્મા ગાંધી ૩પ વર્ષના થયાં એટલે તેમણે બ્રહ્મચર્યના પાલનનું વ્રત લીધું. પોતાના પત્ની કસ્તુરબા એ પછીથી પત્ની ન રહેતા તેમને બા એટલે કે માતા કહીને સંબોધવાનું શરુ કર્યું. આપણે શરીર અને મન દ્વારા બ્રહ્મચર્યનું કેટલું પાલન કરી શકીએ છીએ? થોડાં દિવસ માટે પણ બ્રહ્મચર્યનું પાલન કરી તો જૂઓ. આપને સમજાઈ જશે કે એ માટે કેટલા પુરુષાર્થની જરુર પડે છે.

ગાંધીજીએ આજીવન અપરિગ્રહનું પાલન કર્યું. અપરિગ્રહ એટલે કે જરુર હોય તેનાથી વધારે કોઈપણ વસ્તુ, ધન, વિચારોનો પણ સંગ્રહ ન કરવો. અત્યારે નેતાઓ ચૂંટાયા બાદ કરોડપતિ બની જાય છે પણ ગાંધીજી આજીવન પોતડી જ પહેરતાં અને ઝૂંપડા જેવા આશ્રમમાં જ રહેતા. સત્તાની મોહિની, ધનની મોહિની, પદની મોહિની, સ્ત્રીની મોહિનીથી અલિપ્ત રહીને ત્યાગીની જેમ જીવવાનું આપણે ધારીએ છીએ એટલું સહેલું નથી. આનો પણ એક વખત આપણે અનુભવ કરી લેવો જાેઈએ એથી એનું મહત્વ અવશ્ય સમજાશે. ગાંધીજી ધારત તો ધન કમાઈ શક્યાં હોત, મોજશોખથી જીવી શક્યાં હોત, સત્તા પણ મેળવી શક્યાં હોત પરંતુ એવું એમણે ન કર્યું અને પોતાનું આખું જીવન દેશસેવામાં સમર્પિત કરી દીધું.

જીવનમાં આપણને અનેક પ્રકારના ભયો સતાવતા હોય છે. નાનપણમાં ગાંધીજીને અંધારાથી ભય લાગતો હતો. એ પછી તેમને ભયને ભગાડવા માટે રામનામનો મંત્ર મળ્યો અને એ મંત્ર એવો તો એમના જીવન સાથે વણાઈ ગયો કે ગાંધીજીએ અભયને ચરિતાર્થ કરીને તમામ પ્રકારના ભયનો ત્યાગ કર્યો હતો. માણસને સૌથી મોટો ભય મૃત્યુનો હોય છે પણ ગાંધીજીને મૃત્યુનો પણ ભય નહોતો.

એક વખત એક અંગ્રેજ કેટલાક સમયથી મહાત્મા ગાંધીજીની હત્યા કરવા માટેના પ્રયાસો કરી રહ્યો હતો. તેણે બે ત્રણ વખત આ માટેના નિષ્ફળ પ્રયાસો કરેલા પણ સફળતા મળી નહોતી. ગાંધીજીની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ હોત તો પોતાને પતાવી દેવાનો પ્રયત્ન કરનારને જ પતાવી દેવાની પેરવી કરત પણ ગાંધીજી નોખી માટીના માનવી હતાં. ગાંધીજી સામેથી એ અંગ્રેજના નિવાસ સ્થાન પર ગયાં અને એ એકલો જ હતો ત્યારે સામેથી તેની પાસે ઉપસ્થિત થઈને કહ્યું કે તે પોતાને મારી નાખવા ઈચ્છતો હતો તેથી પોતે સામેથી મરવા માટે આવ્યાં છે અને તેને હત્યા કરવી હોય તો કરી શકે છે! આ દૃષ્ય જાેઈને એ અંગ્રેજ તો આભો જ બની ગયો! કોઈ વ્યક્તિ સામેથી મરવા માટે આવે તે વાત તેના ગળે ઊતરતી નહોતી! આથી તેનું હૃદય પરિવર્તન થઈ ગયું. હત્યા કરવાના બદલે પ્રણામ કર્યાં અને ત્યારથી એ ગાંધીજીનો ભક્ત બની ગયો. આ રીતે સામેથી મરવા માટે જવામાં કેટકેટલી શૂરવીરતાની જરુર રહે છે તેનો અનુભવ કરીને જાેઈ લેવું જાેઈએ. ઈતિહાસ સાક્ષી છે કે રાવણ, કંસ જેવા શૂરવીર ગણાતા લોકોને પણ મોતનો ભય સતાવતો હતો.

આ જ રીતે મહાંતમા ગાંધીજીએ સમાજના તમામ પ્રકારના ભયનો પણ ત્યાગ કર્યો હતો. તેમના આશ્રમમાં દારુ પીનારાઓ પણ આવતાં અને એ સમયમાં જ્યારે ભારતમાં અસ્પૃશ્યતા ચરમસીમા પર હતી ત્યારે ગાંધીજી હરિજનોને પ્રવેશ આપતા અને હરિજનો માટે ચળવળ ચલાવતાં હતાં. આવું કરતા તેમને સમાજનો જરા પણ ભય લાગ્યો નહોતો. આપણે સમાજની ઉપરવટ થઈને કેટલુંક કરી શકીએ છીઅ?ે તે આપણે જ વિચારવું રહ્યું.

-યોગેશ કવીશ્વર

આ પણ જુઓ